ચંદ્રવદન મહેતા
ચંદ્રવદન ચીમનલાલ મહેતા, 'ચં.ચી.મહેતા' (જન્મ ૬-૪-૧૯૦૧, અવ. ૪-૫-૧૯૯૧): કવિ, નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસલેખક. જન્મ સુરતમાં. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં. માધ્યમિક શિક્ષણ સુરતમાં. ૧૯૧૯માં મેટ્રિક. ૧૯૨૪માં મુંબઈ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૩થી ૧૯૩૬ સુધી મુંબઈની ન્યૂ એરા હાઈસ્કૂલમાં શિક્ષક. મુંબઈ તેમજ અમદાવાદ ‘આકાશવાણી’ના નિયામક. નિવૃત્તિ બાદ મ.સ. યુનિવર્સિટી અને ગૂજરાત વિદ્યાપીઠના નાટ્યવિભાગ સાથે સંલગ્ન. વિદેશના વાસપ્રવાસે અનેક દેશોની નાટ્યશાળાઓના, સમકાલીન નાટ્યપ્રવૃત્તિના, લેખકો, દિગ્દર્શકો અને નાટ્યકલાના તેમ જ નાટ્યતંત્રના નિષ્ણાતોના પરિચયમાં. નાટ્યકલાના વિશ્વવિખ્યાત તદ્વિદ. ૧૯૭૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ફૉર્બસ ગુજરાતી સભાના પ્રમુખ. ૧૯૩૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૨-૪૬નો નર્મદચંદ્રક. ૧૯૫૦માં કુમારચંદ્રકનો અસ્વીકાર. ૧૯૭૧માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. મંચનક્ષમતા ધરાવતાં નાટકો, હાસ્યકટાક્ષથી સ્વકીય મુદ્રા ધારણ કરતાં કેટલાંક કાવ્યો, ગદ્યની વિલક્ષણ છટાઓ બતાવતી આત્મકથા અને પ્રવાસકથાઓ – એ સર્વ આ લેખકની વિશિષ્ટ વ્યક્તિસંપદાનો સ્પર્શ પામેલા આવિષ્કારો છે.
– ચન્દ્રકાન્ત ટોપીવાળા
ગુજરાતી સાહિત્યકોશ(ખંડ ૨)માંથી સાભાર