Author: રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર શાહ

રાજેન્દ્ર કેશવલાલ શાહનો જન્મ ૨૮/૧/૧૯૧૩ના રોજ કપડવંજમાં. અવસાન ૨/૧/૨૦૧૦ના રોજ મુંબઈમાં. શૈશવથી શ્રેયસ્સાધક વર્ગના સંસ્કાર. સ્વાતંત્ર્ય ચળવળમાં એમણે ભાગ લીધો હતો. જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૩૭માં બી. એ.; વિવિધ વ્યવસાય. મુંબઈમાં લિપિની મુદ્રણાલય ભાગીદારીમાં શરૂ કરેલું, પછી એ આગમાં બળી ગયું, મોટું નુક્સાન, ભાગીદારીમાં વિશ્વાસઘાતના પ્રસંગોય બનેલા. આમ છતાં તેઓ વ્યાકુળ કે હતાશ થયા નહોતા. નિજમાં નિમગ્ન, ભીતર પ્રશાન્ત અધ્યાત્મ ઝળહળ ઝળહળ. માણસનો, પરિસ્થિતિનો ને પ્રકૃતિનો હંમેશાં સ્વીકાર. કોઈનોયે પરિહાર નહીં.

૧૯૫૧થી ૧૯૮૩ સુધીની એમની સમગ્ર કવિતાનો સંચય 'સંકલિત કવિતા' ૧૯૮૩માં પ્રગટ થયો. ત્યારપછી પણ તેમના આઠેક કાવ્યસંગ્રહો પ્રગટ થયા. એમનાં કાવ્યોમાં અધ્યાત્મનું, તત્ત્વદર્શનનું ઊંડાણ તથા રહસ્યવાદ પણ પ્રણય, પ્રકૃતિ અને સૌંદર્યની સાથે ઘૂંટાઈને પ્રગટે છે. કાવ્યના વિષયને અનુરૂપ છંદો, લયઢાળો પ્રયોજવામાં તેઓ સફળ રહ્યા છે. કુમાર ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર તથા ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડથી તેઓ સન્માનિત થયા છે.

– યોગેશ જોષી

Searching...