ઉશનસ્
ગુજરાતીના એક અગ્રણી અને સર્જનની પ્રબળ ઊર્જાવાળા કવિ ઉશનસ્ (નટવરલાલ પંડ્યા, ૧૯૨૦-૨૦૧૧) નિત્યસર્જક હતા. પાંચમા દાયકાથી આરંભયેલી એમની કાવ્યયાત્રા એમના અવસાનપર્યંત એકધારી ચાલી. ૧૬ કાવ્યસંગ્રહો પછી એમની 'સમસ્ત કવિતા'(૧૯૯૭)નો સંગ્રહ પ્રગટ થયો એ પછી પણ કાવ્યરત રહેલા.
ઉશનસે ઘણું લખ્યું, પણ ઘણું ઉત્તમ પણ લખ્યું. પ્રકૃતિની, એની આદિમ ક્ષણો સુધી પ્રસરતી ઉત્કૃષ્ટ કવિતા લખી એ 'તૃણનો ગ્રહ' તથા 'સ્પંદ અને છંદ'માં પ્રગટ થઈ. પ્રકૃતિ, પ્રેમ, વાત્સલ્ય, ગાંધીદર્શન એવા અનેક વિષયો ને એમની ઉત્તમ છાપવાળી સૉનેટકૃતિઓ સમેત છંદોબદ્ધ કવિતા, ગીતકવિતા તેમજ અછાંદસ સુધીનું એમનું ફલક રહ્યું. એમણે સંવાદકાવ્યો પણ લખ્યાં ને એમ ચિંતનસ્ફૂર્ત કવિતા પણ આપી. ઊંચા ઉડ્ડયનવાળી કલ્પનાશીલતાએ એમની પાસેથી ઉત્કૃષ્ટ કવિતા સંપડાવી છે.
નિબંધ, એકાંકી, સ્મરણકથા એવાં સ્વરૂપોમાં પણ એમણે કેટલીક કૃતિઓ આપી પણ કવિતા પછી 'ઉશનસ્'નું એવું જ મહત્ત્વનું લેખનકાર્ય એમનું વિવેચન છે. ઐતિહાસિક પ્રવાહોનું અભ્યાસપૂર્ણ આલેખન, સમકાલીન સાહિત્ય અને કૃતિઓનું રસાસ્વાદક અને પર્યેષક સમીક્ષણ એમની દીર્ઘકાલીન અધ્યાપનપ્રવૃત્તિનું સંનિષ્ઠાભર્યું પરિણામ છે.
ઉશનસ્ સતત વિકાસમાન રહ્યા – કવિતાનાં રૂપોમાં રૂઢથી અરૂઢ સુધી એમની ગતિ રહી, સૉનેટકવિતાને એમણે બલવંતરાય પછી એક બીજું મહત્ત્વનું ઉડ્ડયન આપ્યું – પુષ્કળ કૃતિઓની વચ્ચે ઊંડી સર્જકતા દાખવતી અનેક સૉનેટકૃતિઓ ને સૉનેટમાળાઓ એમનું અર્પણ છે. ઉશનસ્ સતત સમય સાથે સર્જન-સક્રિય રહ્યા, ને નોંધપાત્ર રહ્યા.
એમની કવિતા – ને સમગ્ર સર્જન- અનેકવિધ પુરસ્કારોથી મંડિત રહી. 'કુમાર ચંદ્રક'(૧૯૫૯)થી ભારતીય સાહિત્ય અકાદેમી પુરસ્કાર (૧૯૭૬) તેમજ ગૌરવ પુરસ્કાર (૨૦૦૦) અને 'નરસિંહ મહેતા પુરસ્કાર' (૨૦૦૧) સુધીનાં પારિતોષિકો એમની સહૃદયચાહક અને પ્રતિષ્ઠિત સર્જક તરીકેની સાહેદી પૂરે છે. ઉશનસ્ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (૧૯૯૧) પણ રહ્યા.
એક વિલક્ષણ અને ઊર્જાવાન કવિ તરીકે ઉશનસ્ સદા સ્મરણીય રહેશે.
– રમણ સોની