નરોત્તમ પલાણ
ઇતિહાસ, પુરાતત્ત્વ અને સાહિત્ય – એમ વિવિધ ક્ષેત્રોના અભ્યાસી નરોત્તમ પલાણ (જ. ૧૯૩૫) વાચક અને લેખક તરીકે બહુશ્રુત છે. ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ. કરીને પૂરી કારકિર્દી અધ્યાપક અને આચાર્ય રહ્યા. વિસ્મય અને જિજ્ઞાસાથી પ્રવાસો કર્યા. પ્રકૃતિસૌંદર્યની સાથે શિલ્પસ્થાપત્યમાં પણ રસ લીધો અને અધ્યયન કર્યું. એવું જ અધ્યયન એમણે સાંસ્કૃતિક-સાહિત્યિક ઇતિહાસનું પણ કર્યું.
‘રખડપટ્ટી’ (૧૯૭૦), ‘સરસ્વતીના તીરે તીરે’ (૧૯૭૨), ‘ચાલો પ્રવાસે’ (૨૦૦૧) એમનાં ધ્યાનપાત્ર પ્રવાસપુસ્તકો છે; ‘ઇતિહાસવિમર્શ’ (૧૯૭૯), ‘ઘૂમલી સંદર્ભ’ (૧૯૮૨), ‘શનિમંદિર : હાથલા’ (૨૦૦૭) જેવાં ઇતિહાસ-પુરાતત્ત્વનાં સ્વાધ્યાયશીલ ને રસપ્રદ પુસ્તકોથી એમણે અધિકારપૂર્વક ધ્યાન ખેંચ્યું છે.
વિવેચક તરીકે ‘લોચન’ (૧૯૮૨)થી ‘તપાસ’ (૨૦૧૯) સુદીની એમની સફર એક ખંતીલા અભ્યાસી અધ્યાપક અને એક ઝીણી નજરવાળા નિર્ભય આલોચક તરીકેની રહી છે.
એમણે શ્રી કે કા શાસ્ત્રી ગ્વાલગ્રંથ(૧૯૮૧), ઘૂમલી : રાજકીય અને સાંસ્કૃતિક(૧૯૮૨), હેમચંદ્રાચાર્ય(૧૯૮૯) એવાં મહત્ત્વનાં સંપાદનોમાં મૂલ્યવાન સાથ આપ્યો છે ને ગુજરાતી કવિતાચયન ૧૯૯૬(૧૯૯૮), બારોટ અને બારોટી સાહિત્ય(૨૦૦૧)જેવાં ચયન-સંપાદનો પણ કર્યાં છે.
વિવિધ સામયિકોમાં ઊહાપોહભરી તાત્ત્વિક ચર્ચાઓ કરતા પત્રો લખનાર પલાણે ‘હૂ હૂ’ નામે એક નવલકથા પણ લખી છે.
– રમણ સોની
રમણ સોની
ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા રમણ સોની (જ. 1946) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ પરના શોધનિબંધ પછી એમના વિવેચનસંદર્ભ, સાભિપ્રાય, સમક્ષ, મથવું ન મિથ્યા તથા ગિરિધરો અને પિચ્છધરોની વય્ચે – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શ વાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યિક્તથી નિ:સંકોચપણે નિર્ભિક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. જેની 16 આવૃત્તિઓ થઈ છે એ તોત્તોચાન, ઉપરાંત અમેરિકા છે ને છે જ નહીં જેવા સુબોધ અનુવાદગ્રંથો; વલ્તાવાને કિનારે જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; સાત અંગ, આઠ અંગ અને– જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. પ્રત્યક્ષ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. નેપથ્યેથી પ્રકાશવતુર્ળમાં તેમ જ અવલોકન-વિશ્વ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે.
– કિશોર વ્યાસ